ગુજરાત જાહેર પરીક્ષા(ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક 2023 વિધાનસભા ગૃહમાં વિના વિરોધે સર્વે સંમતિ સાથે પસાર
રાજ્યપાલના સંબોધનના અંશઃપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અંતર્ગત અત્યાર સુધીમાં 63.49 લાખ ખેડૂતોના બેન્ક ખાતામાં કુલ 12,534.26 કરોડ રૂપિયા સીધા જ જમા થયા. મત્સ્યોદ્યોગના વિકાસ માટે યુરોપીય યુનિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે માંગરોળ અને નવા બંદરમાં માછીમારી માટે માળખાકીય સુવિધાઓ વિકસાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. માઢવાડ, સૂત્રાપાડા, વેરાવળ અને અન્ય બંદરો તથા 33 મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર ખાતે પણ આવી કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારોને ખાદ્ય સુરક્ષા પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો આરંભ કર્યો હતો.
18 હજાર ગામડાઓ 100 ટકા હરઘર જલ ઘોષિતઃ રાજ્યપાલે ઉંમેર્યું હતું કે, ગુજરાતમાં અત્યારે 36 મેડિકલ કૉલેજ કાર્યરત્ છે. ગયા વર્ષે અંડર ગ્રેજ્યુએશન કોર્સ એમબીબીએસમાં સીટોની સંખ્યા 5,700 હતી. તો આ વર્ષે વધીને 6,350 થઈ છે. તો જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના ગુજરાતના 33 જિલ્લા, 247 તાલુકા અને 18,187 ગામોને 100 ટકા હર ઘર જલ ઘોષિત કરવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 16 વર્ષોમાં ખેડૂતોના વીજ દરોમાં કોઈ જ વૃદ્ધિ કરવામાં આવી નથી. તો મધ્યાહન ભોજન યોજનાને હાલમાં ભારત સરકાર દ્વારા 'પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના', 'પ્રધાનમંત્રી પોષણ યોજના' એવું નવું નામ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં શરૂ થઈ એર એમ્બુલન્સ સેવાઃ રાજ્યપાલે સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ યાત્રાધામોમાં 4,337 કિલોવૉટની ક્ષમતાના સોલાર રૂફટોપની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તો કટોકટીના સંજોગોમાં દર્દીને હોસ્પિટલ પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા 21 માર્ચ 2022થી એર એમ્બુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે. જ્યારે વર્ષ 2021માં સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતોના નવા પંચાયત ઘરો માટે બાંધકામ ઝડપથી હાથ ધરવાનો નિર્ણય કરીને જરૂરી સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવાની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવી છે.
ગુજરાત પ્રથમ ક્રમાંકેઃ રાજ્યપાલે સંબોધનમાં ઉંમેર્યું હતું કે, જીએસટી રજિસ્ટ્રેશન, ઑનલાઇન રજિસ્ટ્રેશન-ફેસલેસ સર્વિસીઝ, ભાગીદારી પેઢી (આરઓએફ)નું એક દિવસમાં ઑનલાઈન રજિસ્ટ્રેશન, વ્યવસાય વેરાનું એક દિવસમાં રજિસ્ટ્રેશન, ઈ-નિવારણમાં વેપારીઓની ઑનલાઈન ફરિયાદ સ્વીકૃતિ અને નિવારણ તથા ફેસલેસ અને પારદર્શક સેવા આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. તો કૌટુંબિક વિવાદોનું નિવારણ કોર્ટની બહાર થાય એવા આશયથી એક વ્યવસ્થા ઊભી કરવાના ભાગરૂપે, વિવાદો નિવારણ માટે તથા સુલેહ માટે 'ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામું' યોજનાના અમલ માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિઓનું ગઠન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં 3,79,000 એકરમાં પ્રાકૃતિક ખેતીઃરાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 3 લાખ, 79 હજાર એકર ભૂમિમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. રાજ્યની 1036 ગ્રામ પંચાયતોમાં 75 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.14,455 ગ્રામ પંચાયતો પૈકી 14,338 ગ્રામ પંચાયતોમાં એક થી વધારે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં દસ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. આ ફેબ્રુઆરી મહિનામાં જ આ જ સુધીમાં 1,116 પ્રશિક્ષણ તાલીમ વર્ગો દરમિયાન 47,305 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે. રાજ્ય સરકાર ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે વર્ષે ₹10,800 ની આર્થિક સહાય આપે છે. ₹1,84,000 હજાર ખેડૂતોને ₹320 કરોડની આવી આર્થિક સહાય આપવામાં આવી છે.