ગુજરાતમાં પરીક્ષા ગેરરીતિ અટકવાવા કાયદાને મંજૂરી- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સહિ કરી સરકારને મોકલ્યુ બિલ
- રાજ્યમાં આજથી કાયદો અમલી બનશે
ગુજરાતમાં પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે કાયદાને મંજૂરી મળી ગઈ છે. ત્યારે ગુજરાત જાહેર પરીક્ષા ગેરરીતિ અટકાવવા કાયદાને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું.
ગૃહમાં પરીક્ષા વિધેયક બિલને સર્વાનુંમતે મંજૂરી મળી ગઈ હતી
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગૃહમાં પરીક્ષા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિ સાથે મંજૂરી મળી ગઈ છે. ત્યારે આ બાબતે હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આ બિલમાં કોઈપણ પ્રકારની ક્ષતિ, ભૂલ રહી ગઈ હોય તે સૂચન મોકલજો. તેમજ હું તમામ લોકોના સૂચન અને ટીકા સાંભળવા તૈયાર છું. ગુજરાતની સરકાર, વિપક્ષે મહદઅંશે તમામ કલમોનું સમર્થન કર્યું છે. વિપક્ષના સભ્યોએ મુદ્દો સૂચવ્યો તેને સરકારે ધ્યાને લીધો. તેમજ ધો.10-12 ના વિદ્યાર્થીઓ મુદ્દેના વિપક્ષના સૂચન પર તાત્કાલીક સુધારો કર્યો છે. વિપક્ષના સદસ્યોના તમામ પ્રશ્નનાં જવાબ આપવામાં આવ્યા છે.
આ કાયદો અસ્તિત્વમાં આવે પછી જ બીજી પરીક્ષાઓ લેવાશે: હર્ષ સંઘવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિધાનસભાની કામગીરી ઈતિહાસમાં લખાશે. ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે આ મહત્વનું પગલું છે. અત્યાર સુધી પેપર ફોડનારાઓ કોઈને કોઈ છટકબારીઓ કરતા હતા. ગુજરાતની ધરતી પર હવે કોઈ પરીક્ષાર્થી ભૂલ કરશે તો છટકબારી નહી મળે. કોઈએ શોર્ટ કટ પકડ્યો તો જીવનભર પરીક્ષા આપી નહી શકે. આ કાયદો અસ્તિત્વમાં આવે પછી જ બીજી પરીક્ષાઓ લેવાશે અને આ કાયદો જલ્દીથી જલ્દી લાગુ થશે. આ કાયદા માટે સરકાર ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે. બંધારણ પ્રમાણે જુના કેસોને આ કાયદા અંતર્ગત લાવી નહી શકાય. આવનારી પંચાયતની પરીક્ષા માટે હસમુખ પટેલને નિરીક્ષણની જવાબદારી સોંપવામાં આવી છે. જેથી કોઈપણ વિદ્યાર્થી લેભાગુ શખ્સોનાં વિશ્વાસમાં ન આવે. આ કાયદામાં કોઈ છટકબારી રાખવામાં આવી નથી.
ઉમેદવારોના ભાવિ સાથે ચેડા કરનાર વિરૂદ્ધ કડક કાયદો બનાવ્યો
ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો. જેનું ગત 16 ફેબ્રુઆરીએ વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું હતું. જાહેર પરીક્ષા અધિનિયમ બિલની કોપી ધારાસભ્યોને આપવામાં આવી હતી. આ વિધેયક ગૃહમાંથી મંજુર થઈ ગયું છે. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. સાથે ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત રાખવા જોગવાઈ છે.
10 વર્ષની સજાની જોગવાઈ
વિધેયકમાં આમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે.
1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે!
પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં.
વિધેયકની મુખ્ય જોગવાઈ
- પેપરલીક કરનારને 1 કરોડ રૂપિયા સુધીનો દંડ
- ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ 10 વર્ષની સજા
- દંડની રકમ ન ભરી શકે તો ફોજદારી ગુનો દાખલ થઈ શકશે
- પરીક્ષાનો ખર્ચ ભરપાઈ કરવા દોષિતની મિલકત ટાંચમાં લેવાશે
- આરોપી હશે તેની સામે બિનજામીનપાત્ર ગુનો
- PIથી નીચેની કક્ષાના અધિકારી નહીં કરી શકે તપાસ
- પરીક્ષામાં ગેરરીતિ આચરનારને 3 વર્ષ સુધીની જેલ
- ગેરરીતિ આચરનારને 1 લાખ સુધીનો દંડ
- 2 વર્ષ સુધી પરીક્ષાર્થી પરીક્ષા નહીં આપી શકે
- પેપરને લીક કરવામાં મદદ કરનારને પણ સજા
- ભરતી બોર્ડનો સભ્ય જવાબદાર હશે તો 5 થી 10 વર્ષની સજા
- અનઅધિકૃત રીતે પ્રશ્નપત્ર મેળવવું પણ ગુનો ગણાશે
પેપરલીક સામે કડક કાયદો અનિવાર્ય કેમ?
- ગુજરાતમાં સરકારી ભરતી માટેની પરીક્ષાના પેપર અનેકવાર ફૂટ્યા
- ઉમેદવારના ભાવિ સામે પ્રશ્ન ઉભા થયા
- 2023માં પણ પેપર ફૂટવાનો સિલસિલો યથાવત છે
- તાજેતરમાં જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું
- ઉમેદવારોએ ઠેર-ઠેર વિરોધ કર્યો હતો
- અગાઉ પણ અનેક પેપર ફૂટ્યાની ઘટનાઓ બની
અત્યાર સુધી કેટલા પેપર ફૂટ્યા?
- 2014 GPSC ચીફ ઓફિસર
- 2015 તલાટી
- 2016 તલાટી
- 2018 TAT-શિક્ષક પેપર
- 2018 મુખ્ય-સેવિકા પેપર
- 2018 નાયબ ચિટનિસ પેપર
- 2018 LRD-લોકરક્ષક દળ
- 2019 બિનસચિવાલય કારકુન
- 2021 હેડ ક્લાર્ક
- 2021 DGVCL વિદ્યુત સહાયક
- 2021 સબ ઓડિટર
- 2022 વનરક્ષક
- 2023 જુનિયર ક્લાર્ક